
“ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વિદ્યામંજરી જ્ઞાનપીઠ,YYP ગ્રૃ૫-સિહોર તથા અલ્કાપુરી સોસાયટીના રહીશોના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો “ સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા “વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ–સિહોર” ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે આજ તા. ૧૩/૦૮/૨૦૨૬ના રોજ વિદ્યામંજરી જ્ઞાનપીઠ–સિહોર,YYP ગૃપ(યુવા યુગ પરિવર્તન સંગઠન–સિહોર)તથા અલ્કાપુરી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.શાળા કેમ્પસ નજીક આવેલા અલ્કાપુરી સોસાયટીનાં કોમન પ્લોટ વિસ્તારમાં યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં YYP–સિહોરના શ્રી મલયભાઈ રામાનુજ તથા તેમની ટીમ,સોસાયટીના રહિશો તથા શાળાના ટ્રસ્ટી/સંચાલકશ્રી પી.કે. મોરડિયા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી અનિકેતભાઈ રાજ્યગુરુ, કોર્ડિનેટર શ્રી ભાવેશભાઈ કસોટિયા, શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર અને YYPની ટીમ અને સોસાયટીના રહિશો દ્વારા વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. માત્ર વૃક્ષો વાવવાથી જ નહીં, પરંતુ તેનું નિયમિત જતન, સંવર્ધન અને સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારના સભ્યોએ “વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો અને પર્યાવરણનું જતન કરો” તેવો સંકલ્પ લઈ વૃક્ષારોપણ બાદ રોપાઓના જતન કરવા માટે શપથ લીધા હતા. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંવેદનશીલતા કેળવાય તેવા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહપૂર્વક સહભાગી બની પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.શ્રાવણ માસના પાવન પ્રારંભે યોજાયેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા “એક વૃક્ષ અનેક પેઢીઓનું ભવિષ્ય” નો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્કૃતિ સ્કૂલના સભ્યો તથા YYPની ટીમ અને અલ્કાપુરી સોસાયટીના રહીશોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપી ભારે જહેમત ઉઠાવી હતી. વૃક્ષો વાવો, હરિયાળી વધારીએ અને આવતી પેઢીને સ્વચ્છ–સુંદર પર્યાવરણની ભેટ આપીએ.

